चारण शक्ति

Welcome to चारण शक्ति

मां गौरवी

मां गौरवी

पूरा नाममां गौरवी
माता पिता का नामઆઈ ગૌરવીના પિતાનું નામ જેદેવ (જયદેવ) વાંધિયા
जन्म व जन्म स्थान 
स्वधामगमन
આઈ ગૌરવીએ પોતાનું અવતાર કાર્ય પૂરૂ થતાં જીવતાં સમાધિ લીધેલી.
विविध
આઈ ગૌરવીનાં લગ્ન (નરા શાખાની પેટા શાખા) નેચડા – શાખાના ગઢવી સોડચંદ્ર (સૌરચંદ્ર) સાથે થએલાં.

 जीवन परिचय

આઈ ગૌરવી – ગૌરવી આઈ ગૌરવી ગુજરાતના રાજા વિશળદેવ વાઘેલાનાં સમકાલીન હતાં. વીશળદેવ વાઘેલાનો સમય સં. ૧૨૭૦ આસપાસનો છે. આઈ ગૌરવીના પિતાનું નામ જેદેવ (જયદેવ) વાંધિયા અને અને દાદાનું નામ વૈદેવ વાંધિયા. આઈ ગૌરવીનાં લગ્ન (નરા શાખાની પેટા શાખા) નેચડા – શાખાના ગઢવી સોડચંદ્ર (સૌરચંદ્ર) સાથે થએલાં. તેમના પુત્રનું નામ ભાણસુર અને ભાણસુરના પુત્રનું નામ વેદો (વિદ્યા- ચંદ્ર). આઈ શેણબાઈના વૃત્તાંતમાં જણાવ્યું છે. તેમ વેદા ગઢવીને ત્રણ પુત્રો મૂજ, મેપો અને તોળ-તુષ્ય (તેગે) અને એક પુત્રી આઈ શેણબાઈ હતાં, જે માતાજી તરિકે પ્રસિદ્ધ થયાં, આજીવન બ્રહ્મચર્યવ્રત પાળ્યું અને હેમાળે જઈ ભકતમય જીવને ગાળીને અને બરફમાં સમાઈ ગયાં. આઈ મોગલ આઈ ગૌરવીનાં સાસુ થાય.

જુનાગઢના ભેંસાણ તાલુકામાં હાલ જ્યાં ગોરળીઆળી ગામ છે’ ત્યાં એ વખતે ગીર હતી, જંગલ હતું . તેમાં સોડચંદ્રના પિતાના વખતથી નેશ હતો. પરણીને આવ્યા પછી આઈ ગૌરવી એ નેશમાં રહેતાં. બહોળો- માલ ઢોર ખૂબ હતાં. આઈ ગૌરવી પોતે ખૂબ તપસ્વી, પૂર્વજન્મનાં સંસ્કારી, પવિત્ર શીલ આચારવાળાં હતાં. એમને ત્યાં મોટો અન્નવરો થતો રહેતો, અતિથિઓ, સાધુ સંતોનો ખૂબ સત્કાર કરતાં. એમની પવિત્રતાની તપસ્વી-પણાની, દિવ્યતાની વાતો ખૂબ પ્રસરેલી. કહે છે કે ગુજરાતના રાજા વીશળદેવ વાઘેલાને પાઠાનું ભયકર દર્દ થએલું, ખૂબ ઇલાજ કર્યાં, સેંકડો વૈદ્યો, ઈલ્મીઓએ અજમાવેલ ઔધો-ઈલાજોથી આરામ ન થયો. કોઈકે તેમને સલાહ આપી કે ‘જુનાગઢ પાસે ગિરનારની તળેટીમાં આવેલા દામા કુંડમાં એક વરસ સ્નાન કરવાથી એ દર્દ મટશે’ એટલે એ ઇલાજ અજવાવવાનો અને એ તીર્થ સ્થાનમાં રહી ભક્તિમય જીવન ગાળવાનો નિર્ણય કર્યો અને – રાજ્ય વ્યવસ્થા માટે ઘટતો પ્રબંધ કરી તેઓ દામા કુંડે આવ્યા. તેમાં સ્નાન કરી બ્રાહ્મણોને સુવર્ણદાન આપ્યું. તેનો ભાગ કરવામાં બ્રાહ્મણોને આપસઆપસમાં મતભેદ થયો. એટલે ન્યાય મેળવવા માટે સૌ જુનાગઢના રા’ પાસે ગયા. તેમના દ્વારા રા’ને ખબર પડી કે ગુજરાતનો રાજા વિશલદેવ વાધેલો. દામાકુંડે આવેલ છે. એટલે રા’એ ખૂબ માનપાન સાથે વીશળદેવની જુનાગઢમાં પોતાના મહેલમાં પધરામણી કરી, દર્દ અંગે વાત નીકળતાં જુનાગઢના વૈદ્યરાજોને બોલાવી દયા ચાલુ કરાવી. દરરોજ દામાકુંડના જળન સ્નાન પણ-ચાલુ રાખ્યું. દરમીઆન કોઈ અનુભવી જાણકારે રાને કહ્યું કે “બાપુ! આપણી ગીરના એક નેશમાં ચારણ માતાજી ગૌરવીમા રહે છે, તે મહાન પ્રતાપી દેવી છે. એમની કૃપા થાય તો આ દર્દ જરૂર મટે.” એટલે રા’એ પોતાના બે માનવતા સરદારોને આઈ પાસે મોકલયા. તેમણે રા’ના પ્રણામ નિવેદન કરી આઈને જુનાગઢ પધારવા વિનંતિ કરી અને આઈ માટે પાલખી લાવેલા તે હાજર કરી. આઈએ કહ્યું કે હુ વાહનમાં બેસતી નથી. પગે ચાલીનેજ આવીશ.

બીજે દિવસે સવારમાં આઈએ એ સરદારોને કહ્યું કે “તમે તમારા ઘોડાઓ પર રવાના થાઓ, હું તમારી પાછળ પાછળ આવું છું.” એ સરદારો બે ત્રણ કલાક ચાલ્યા પછી આઈ આવી પહોંચવાની વાટ જેવાનું વિચારતા હતા, ત્યાં તેમનાથી આગળ એક વૃક્ષ નીચે આઈને બેઠેલાં જોયાં. આઈ ઘોડાઓથી આગળ કેવી રીતે અને ક્યારે નીકળી ગયાં તેનું એ સરદારોને ખૂબ આશ્ચર્ય થયું, આઈએ તેમને કહ્યું કે “તમે તમારા ઘોડા હાંકયે રાખો, હું તમારી પાછળ આવી જ રહી છું” એટલે તેઓ રવાના થયા અને ખૂબ લાંબું ચાલ્યા પછી ફરીને આઈની રાહ જોવા માટે રોકાવાનું વિચારતા હતા, ત્યાં ફરીને આગળ એક વૃક્ષને છાંયે આઈને બેઠેલાં જોયાં. આઈના એ ચમત્કારથી તેઓ ઘણા પ્રભાવિત થયા અને સાંજ પહેલાં આઈ તથા સરદારો જુનાગઢ પહોંચ્યાં. સરદારોએ રા’ને આઈના ચમત્કારની વાત કરી આઈના પધારવાના ખબર આપ્યા. એટલે રાએ પોતાના સર્વે સરદારો અને સેનાપતિઓ મંત્રીઓ સાથે વાજતે ગાજતે સામૈયું કરી આઈનું સ્વાગત કર્યું”, પાયવંદન કરી પોતાના મહેલમાં પધરામણી કરી. વિશળદેવ વાઘેલાના દર્દની વિગતવાર વાત કરી. એટલે આઈ વીશળદેવનો જ્યાં ઉતારો હતો ત્યાં પધાર્યા, વીશળદેવે પલંગથી નીચે ઉતરી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. પોતાના દર્દ’ની વાત કરી. માતાજીએ પોતાના ભેળિયાથી આંચ ઉતારી વિશળદેવના માથા પર હાય ફેરવ્યો. માતાજીનાં નવરાત્રિના હોમની વિભૂતિ પીરશળદેવના પાઠા પર લગાવરાવી. તેના પર પાટો બંધાવ્યો. તથા એ વીભૂતિ દૂધમાં ભેળવીને તે વીશળદેવને પીવરાવી. એટલે વીશળદેવની પીડા તુરત જ ઓછી થઈ ગઇ. ત્રણ દિવસ આવી રીતે વિભૂતિ લગાડવા તથા દૂધ સાથે પીવરાવવાથી અને ભેળિયાથી આંચ ઉતારવાથી પાઠુ રૂઝ પર આવી ગયું. બધું દર્દ મટી ગયું (આ વાત આઈ ગોરવીની ૧૮મી પેઢીના વંશજ ગોરવીઆળા ગામના ગઢવી શ્રી અજુભાઈ રામભાઈ ગોરવીઆળાએ તા.૨૩-૧૦-૭૪ના રોજ મને રૂબરૂ કહેલી, ઉપરાંત લખીને આપેલી છે. અને તે અંગે એમના વહીવંચા રાવળદેવોના ચોપડામાંથી પણ તપાસીને ખાત્રી કરવામાં આવી છે.)

એ દર્દ મટી ગયું તે પછી વશળદેવ વાઘેલાએ આઈ ગોરવીને ગુજરાતમાં પધારવાની તથા પોતાના તરફથી ૧૨ ગામ ભેટમાં સ્વીકારવાની વિનંતી કરતાં આઈએ કહ્યું કે “બાપ વીશળદેવ ! મને તમારાં ગામની જરૂરત નથી. હું ગામોની પળોજણમાં ક્યાં પડું ! મારી ગીરની ભોમકા છોડીને હું ત્યાં આવી શકું નહિ.” ત્યારે રા’એ કહ્યું કે “માતાજી ! વીશળદેવની ભેટ આપ ન સ્વીકારો એ બરાબર છે, પણ જુનાગઢ તો આપનું ગણાય, એટલે આપના ગોરવીઆળી નેશની પાસેનાં ૧૨ ગામ આજથી આપને અર્પણ કરું છું, તેની માલિકી હવેથી આપની – માતાજીની જ છે.” આઈએ તે સ્વીકારવાની ઘણીએ ના પાડી, પણ રા’એ માતાજીને અર્પણ થએલું પાછું સ્વીકાર્યું નહિ. આઈને અર્પણ થયેલ એ ગામોનાં નામ નીચે પ્રમાણે હોવાનું જાણવા મળ્યું છે. ગોરવીઆળી, હળિયાદ, ઘરંટીયાણ, ડમરાળું, મોરવાડું, ટીંબી, ધારી (ગૂ’દાળી), ગૂંદાળી, માવજીંજવા, બાલાપુર, માણેકવાડું તથા ખીરવડ.

ત્યાર પછી આઈ પોતાને નેશ આવ્યાં અને આનંદથી ત્યાં રહેતાં હતાં. પણ ઉપર્યુકત વાત સાંભળીને સેંકડો માણસો, સાધુ સંતો, દર્શનાર્થીઓ ભકતે દરરેજ આવવા લાગ્યાં. એટલે માતાજીએ સાધુ સંતો માટે સદાવ્રત ચાલુ કરાવ્યું. ઝૂંપડાની ધર્મશાળાઓ છાપરાં બનાવરાવ્યાં અને પોતે રહેતાં હતાં, તેની ઉત્તર પશ્ચિમે ગામ વસાવ્યું અને ગૌરવી આઈનો-ગોરવીઆળીનો નેશ ગોરવીઆળી ગામ બની ગયું. એ ગામની નજીકમાંજ ઓઝત નદી વહે છે.

આઈના પતિની શાખ તો નેચડા છે પણ આઈ ગૌરવી પોતે મહા પ્રતાપી થયાં એટલે તથા ગોરવીઆળી ગામમાં વસતાં હોવાને કારણે તેમના વંશજો ગોરવીઆળા કહેવાયા. આઈ ગૌરવીના અનેક પરચાઓની વાતો પ્રચલિત છે. આઈ ગૌરવીએ પોતાનું અવતાર કાર્ય પૂરૂ થતાં જીવતાં સમાધિ લીધેલી. હાલે તે સ્થળે-ગામથી પૂર્વ- દક્ષિણે ઊંચા સ્થાનકે આઈના સમાધિ સ્થાન પર તેમનો સતીના પંજાવાળો પાળિયો છે. એક જુનો સોરઠો દોહો છે કે :

ગોરવીએ ગિરનાર, અધિક પવીતર ઊજળો;
સહ જાણે સંસાર, વાંધિયાણી ! જાણે વિશવ.

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

मां गौरवी से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति