Sat. Apr 19th, 2025

બચુભાઇ ગઢવી
પ્રાગટયનું પહેલું કિરણ આપમેળે પ્રગટે એમ તેમનામાં પ્રજ્ઞાા પ્રગટી ગઇ હતી. ધરતી ફાડીને અણધાર્યો વાંસનો અંકુર ફૂટે તેમ વિદ્વત્તા વિસ્તરી ગઇ હતી.
ઇતિહાસની વાત માંડે ત્યારે આર્યાવર્તનો ઇતિહાસ નાનો થઇ જાય.
નાથ સંપ્રદાયનો નાદ જેના રૂંવે રૂંવે નર્તન કરે. પડખે બેઠેલો ભાગ્યવાન હોય તો આઠેય કોઠે ટાઢક ઢળે એવો જની ભીતરમાં અભરે ભર્યો ભંડાર હતો.
જેને ઓળખવા માટે અંતરની આંખ જોઇએ. પામવાને માટે ગરૂડરાજની પાંખ જોઇએ. પચાવવા માટે પાત્રતા જોઇએ. સાચા અર્થમાં સમર્થ સાહિત્યકાર.
મોં માથે કાળી  ભમ્મર દાઢી મૂછના કાતરા, વગડાના વાહારે ફરકતા હોય, ગળામાં રૂદ્રાક્ષની માળા, ઉઘાડી છાતી પર વાઘ-નહોર ઝુલતા હોય, ખંભે પડેલી કામળી ત્રાંબાવરણી કાયાના કારણે કળામય રૂપ ધારણ કરતી હોય, હાથના કાંડામાં ગેંડાનું કડું રમતું હોય, એક હાથમાં મુંજડા બળદોની રાશ હોય, બીજી ભૂજા હળને ભીંસ દેતી હોય, ઉપર ઝળુંબેલું આસમાન અંતરમાં આનંદના ઓઘ ઉછાળતું જરાક ઝુકીને જેની વિદ્વત્તાનાં વારણાં લેતું હોય. વઢવાણની સીમમાં આવું રૂપ બંધાયેલું દેખાયેલું ત્યારે એ એંધાણીએ એમ જાણેલું કે હળનો હાંકનારો બીજો કોઇ નહીં પણ બચુભાઇ ગઢવી છે.
ગણત્રી વગરના ગુણિયલ ગઢવીની જીભને ટેરવેથી સાહિત્યના તમામ પ્રકારો ત્રબકતા હતા. જેની બાનીમાં બુલંદી હતી. જેની નજરમાં બ્રહ્માંડને નિરખવાની નિજાનંદી હતી. બચુભાઇના પ્રતાપી પૂર્વજોનું મૂળવતન રાજસ્થાનની મરૂભૂમિ મારવાડ, મારૂ ચારણ ભાવસિંહ રોહડિયા અને માતા જીતુબાનું સંતાન.
ભગવાન મહાવીરનાં પુનિત પગલે પાવન થયેલી ભોમકા પર વસેલા વઢવાણને વતન બનાવેલ પિતા ભાવસિંહજી રોહડિયાની બાની રાજા રમવાડામાં રમતી હતી. માતા જીવુબાબહેનનો આત્મા આદ્યશક્તિ ઇશ્વરીમાં એકાકાર થયેલો. બચુભાઇને બિરદાવતા દુહા રચાણા.
(દુહા)
શબ્દુનો સાહેબ ધણી ધીંગો માડુ ધજ
જીવ્યો કરેણી કાજ રંગ તુને રોહડિયા
શિવા, રણ, વરદ્યમાની તો વિગતુંને વણનાર
એનો નવરંગ ચિતાર રંગ પૂરી ગ્યો રોહડિયો.

માતા જીજીબાઇએ જેમ શિવાજીને હીરની દોરીએ હીંચોળતાં હીંચોળતાં રામલખમણની વાત હાલરડાં ગાતાં ગાતાં પિવરાવીને વિશ્વ વિખ્યાતિના ખિતાબ ધારણ કરાવ્યા હતા એમ બચુભાઇની જોગમાયાના અવતારના અંશ સમાન માતાએ ખેતરમાં વાવણી વાવતાં કે કાપણી કાપતાં કાપતાં સાહિત્યના અમીકૂંપા પાયા.
બચુભાઇમાં શબ્દચાતુર્યની ચેતના સળવળી ત્યારે રાજદરબારો નહોતા. જો હોત તો લાખ પસાવના ઘણી બનત અને હવેલીઓમાં રહીને હિંડોળે હીંચકતા હોત. હળ હંકીને ધીંગા ધોરીને લાડ લડાવતાં તેમણે ધરતીને ખેડી ધાનના અને જ્ઞાાનના ઢગલા કર્યાં.
એની પાસે વિષયોનો પાર નહોતો. અણકથી કથાઓનો અણમૂલો અને અણખૂટ ખજાનો હતો. એની વાણીનાં વારિ સરિતાનાં ઘોડાપૂરની જેમ લોઢે ચઢતાં. સાગરનો ઘુઘવાટ સહજ હતો. ગહન જ્ઞાાન પણ ગજબનું હતું. ગૂઢ તત્વોને તારવી જાણનાર તત્વજ્ઞાાનીના આસન પર આરૂઢ થઇ શકવાનું સામર્થ્ય ધરાવનાર ચારણ ધીંગી ધરાનો ધીંગો જણ હતો. જેની ઊંચાઇ આભને આંબતી હતી.
હજારો જનમેદનીને જીતી જનાર કંઠ તો જનેતાની ધાવણની ધારાએ ધારાએ પોષાયો હતો. પણ એની સાધના સિધ્ધિનાં શિખરોને શોભાવતી હતી.
બચુભાઇ ગઢવી કોઇના આશ્ચિત નહોતા. તે કોઇ ફરમાસુ ગાયક કે વાર્તાકાર નહોતા. લોકહૈયામાં એનું દબદબાભર્યું આસન પડતું. કારણ કે તેઓ સાહિય્ના સાચા સંસ્કાર રોપનાર નરબંકો હતા. અંતરતમ ભાવોને પકડવાની સૂઝબૂઝ કીર્તિકળશને ઝળહળાવે એ સહજ ગણાય. આવા દેવીપુત્ર બચુભાઇ ગઢવી આપણી વચ્ચેથી વિદાય લઇ ગયાં.
ધરતી નો ધબકાર — દોલત ભટ્ટ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *